સ.ગુ. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કળા કૌશલ્ય દ્વારા ધોલેરા મંદિરનું નિર્માણ કાર્ય કર્યું. તેઓ માત્ર છાસ રોટલો એક વાર જમતા અને રાત દિવસ મંદિર નિર્માણના કાર્ય માં વ્યસ્ત રેતા’તા. આના કારણથી સ્વામીનું શરીર પણ ખૂબ દુર્બળ થઈ ગયું’તું. સ્વામી દ્વારા થયેલ આ સેવાથી અતિ પ્રસન્ન થઈને શ્રીજી મહારાજે એક જ ચાદર પર ૧૮ જોડી ચરણાવિંદની છાપ પાડી આપી હતી.
આ પ્રસંગ અને પ્રસાદીની ચાદરના દર્શન ધોલેરા મંદિરની અક્ષર ઓરડીએ આજે પણ કરી શકાય છે.
પ્રસંગ : એક વખત શ્રીજી મહારાજ સંતો હરિભક્તોના સંઘ સહિત વડતાલ જઈ રયા’તા. ત્યારે વાગડ થઈ આગળ જતાં ધોલેરા ધામે રોકાઈને શ્રીહરિએ કથાવાર્તા કરીને રાત્રિ નિવાસ કર્યો.
એ વખતે ત્યાંના દરબાર પુંજાભાઈ અને અન્ય હરિભક્તોને મળીને કુશળ સમાચાર પૂછી મંદિરના બાંધકામની પણ પૂચ્છા કરી. ત્યારે પુંજાભાઈએ નિષ્કુળાનંદ સ્વામિની કળા કૌશલ્યતા અને અથાગ પરિશ્રમથી મંદિરનું કામ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયું છે, એમ જણાવ્યુ.
સવારે નિત્યનિયમ પતાવીને શ્રીજી મહારાજ મંદિર જોવા પધાર્યા. સાથે નિષ્કુળાનંદ સ્વામી અને બધાય સંતો હરિભક્તો સાથે હતા. મંદિરનું કાર્ય જોઈને શ્રીહરિ, સ્વામી ઉપર અતિ પ્રસન્ન થયા અને કઇંક માંગવા માટે કહ્યું, ત્યારે સ્વામી કહે, “મહારાજ ! મારે કાઇ પણ જો’તું નથી”
ત્યારે મહારાજે હઠ પકડી ત્યારે સ્વામીએ કીધું, “આપના થી વિશેષ હોય તો આપો...!”
શ્રીજી મહારાજ નિષ્કુળાનંદ સ્વામીની નિષ્ઠા અને નિર્માનીપણું અને નિ:સ્પૃહપણાથી ખૂબ જ પ્રસન્ન થયા અને કીધું, “સ્વામી ! આજ દિવસ સુધી કોઈને ન આપી હોય તેવી ભેટ અમારે તમને આપવી છે”
એમ કહીને ચાદર અને કંકુ મંગાવ્યું. ચાદરને નીચે પથરાવી કંકુમાં ચરણ બોળી, એ ચાદર ઉપર શ્રીહરિએ મોજથી નાચતા થકા આડા આવળી ૧૮ જોડી ચરણાવિંદની છાપ અંકિત કરી દીધી.
સંપ્રદાયના અન્ય સ્થાનોમાં એક કે તેથી વધુ ચરણાવિંદની છાપના દર્શન થાય છે. પણ ધોલેરા ધામમાં તો ભગવાન શ્રીહરિ નૃત્ય કરતાં હોય તેવી એક સાથે ૧૮ જોડી ચરણાવિંદના દર્શન થાય છે. આથી જ આ ચરણાવિંદ અદ્રિતીય છે.
અને આ આખા પ્રસંગનું ચિત્ર પણ, ધોલેરા ધામની અક્ષર ઓરડીના પ્રસાદી મ્યુઝિયમમાં મૂકાયેલું છે.
।। જય સ્વામિનારાયણ ।।